1 કાળવ્રત્તાંત

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29


પ્રકરણ 17

પોતાના નવા મહેલમાં થોડો સમય રહ્યા પછી દાઉદે પ્રબોધક નાથાનને કહ્યું, “જો હું દેવદારના કાષ્ટના મહેલમાં રહું છું. પરંતુ યહોવાનો કરારકોશ મંડપમાં છે!”
2 નાથાને દાઉદને કહ્યું, “આપના મનમાં જે હોય તે કહો, કારણ, દેવ આપની પડખે છે.”
3 પરંતુ તે જ રાત્રે નાથાનને યહોવાની વાણી સંભળાઇ.
4 “જા, અને મારા સેવક દાઉદને આ સંદેશો આપ, ‘તું મારે માટે રહેવાનું મંદિર બાંધવાનો નથી.”
5 હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઇ આવ્યો ત્યારથી આજપર્યંત હું કદી કોઇ મકાનમાં રહ્યો નથી. હું એક મંડપમાંથી બીજા મંડપમાં ફરતો રહું છું.
6 ઇસ્રાએલીઓ સાથેના મારા પ્રવાસ દરમ્યાન મેં કદી મારી પ્રજાના ભરવાડ તરીકે નિમેલા નેતાઓમાંના કોઇને કદી એમ પૂછયું છે કે, તેમણે મારા માટે દેવદારનું મકાન કેમ બાંધ્યુ નથી?’
7 “મારા સેવક દાઉદને કહે, ‘સર્વસમર્થ યહોવાનાં આ વચન છે; તું ચરાણમાં ઘેટાં ચરાવતો હતો. ત્યાંથી લઇને મેં તને મારા લોકો ઇસ્રાએલીઓનો આગેવાન બનાવ્યો હતો.
8 તું જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું. અને તારી આગળના બધા દુશ્મનોનો મેં નાશ કર્યો છે. હું તને પૃથ્વીના મહાપુરૂષો જેવો વિખ્યાત બનાવીશ.
9 હું મારા લોકો ઇસ્રાએલીઓને માટે એક સ્થાન મુકરર કરીશ અને તેઓને તેમાં સ્થિર કરીને વસાવીશ; ત્યાં તેઓ વસશે અને કોઇ તેમને રંજાડશે નહિ અગાઉ, બનતું હતું તેવું થશે નહિ.
10 જ્યારે મે મારા લોકો ઇસ્રાએલીઓ પર ન્યાયાધીશો નિયુકત કર્યા હતા. પરંતુ તારા સર્વ શત્રુઓને તારે શરણે લાવીશ, અને હું હવે જાહેર કરું છું, હું તારા વંશજોને રાજા બનાવીશ.
11 “‘અને જ્યારે તારો સમય પૂરો થશે અને જઇને તું તારા પિતૃઓની સાથે જોડાઇશ, ત્યારે હું તારા સગા પુત્રને ગાદીએ બેસાડીશ અને તેના રાજ્યને સુરક્ષિત કરીશ.
12 તે જ મારે માટે મંદિર બંધાવશે. અને હું તેની રાજગાદીને કાયમ કરીશ.
13 હું તેનો પિતા થઇશ અને તે મારો પુત્ર થશે. મેં તારા પુરોગામી ઉપરથી મારી કૃપાષ્ટિ પાછી ખેંચી લીધી હતી તેમ હું એના પ્રત્યે કદીય દયાળુ થવાનું બંધ નહિ કરું.
14 હું એના હાથમાં મારા લોકો અને મારું રાજ્ય સોંપીશ. અને તેની ગાદી હંમેશા સુરક્ષિત રહેશે.”‘
15 પછી નાથાન દાઉદ રાજા પાસે ગયો અને યહોવાએ દર્શનમાં જે કહ્યું હતું તે સર્વ તેને કહી સંભળાવ્યું.
16 ત્યારબાદ રાજા દાઉદ યહોવા સમક્ષ ગયો અને તેની સામે બેસીને બોલ્યો, “હે યહોવા દેવ, હું કોણ અને મારું કુટુંબ કોણ? કે તેં મને આટલે ઊંચે સુધી ઊઠાવ્યો છે.
17 અને તેમ છતાં, હે દેવ, એટલું પૂરતું ન હોય તેમ તેઁ તારા સેવકના દૂરના ભવિષ્યના વંશજો માટે પણ વચન આપ્યું છે અને તું તો મને અત્યારથી જ એક મહાપુરૂષ ગણીને ચાલે છે.
18 તેં તારા સેવકને જે માન આપ્યું છે તે વિષે તો હું વધુ શું કહું? તું તારા સેવકને બરાબર ઓળખે છે;
19 હે યહોવા, મારા પ્રત્યે તમારું માયાળુપણું અને તમારી ઉદારતા અતિઘણાં થયા છે અને તમે આ અદભૂત વચનો મને આપ્યાં છે, એ સર્વ તમારી મહાન ઉદારતાને કારણે છે.
20 હે યહોવા, અમે તમારા સમાન અન્ય કોઇ દેવ વિષે સાંભળ્યું નથી. તમારા સિવાય અન્ય કોઇ દેવ નથી.
21 પૃથ્વીના પટ પર તમારા ઇસ્રાએલી લોકો જેવા કોઇ લોકો છે ખરા, જેમનો ગુલામીમાંથી ઉધ્ધાર કરી, પોતાના કરી લેવા માટે દેવ જાતે ગયા હોય, જેમને માટે તમે મહાન અને ભીષણ કાર્યો કર્યા હોય, જેમને મિસરમાંથી છોડાવી લાવી તેમના માર્ગમાંથી અનેક પ્રજાઓને હાંકી કાઢી હોય?
22 તમે તમારા લોકો ઇસ્રાએલીઓને સદાને માટે અપનાવી લીધા છે અને, હે યહોવા, તમે તેમના દેવ બન્યા છો.
23 “અને હવે, હે યહોવા, તમે તમારા સેવક અને તેમના વંશ માટે જે વચન આપ્યું છે તેનું કાયમ માટે પાલન કરજો અને તમે જે કહ્યું છે તે પ્રમાણે કરજો.
24 જેથી સદાકાળ તમારા નામનો મહિમા થાય, અને લોકો કહે કે, ‘સર્વસમર્થ યહોવા ઇસ્રાએલના દેવ છે.’ અને એ રીતે તમારા સેવક દાઉદનો વંશ તમારી નજર નીચે અવિચળ રહેશે.
25 “હે મારા દેવ, તમારા આ સેવકના વંશને રાજગાદી પર સ્થાપવાનો તમારો ઇરાદો તમે મારી આગળ પ્રગટ કર્યો છે તેથી હું તમારી આગળ આવી પ્રાર્થના કરવાની હિંમત કરું છું.
26 હે યહોવા, તમે જ દેવ છો, અને તમે જ તમારા સેવકને આ શુભ વચન આપ્યુ છે.
27 આ સેવકના વંશને આશીર્વાદ આપવાની કૃપા કરશો, જેથી તે સદાસર્વદા તમારી નજર નીચે રહે. જ્યારે તમે તમારા આશીર્વાદ આપ્યા છે, તો એ આશીર્વાદ હંમેશા માટે રહો.”