આમોસ

1 2 3 4 5 6 7 8 9


પ્રકરણ 9

મેં યહોવાને વેદી પાસે ઊભેલા જોયા, તેઓ બોલ્યા, “બુરજોની ટોચ પર એવો મારો ચલાવો કે મંદિર હલી ઊઠે અને તેના થાંભલાઓ તૂટી પડે અને સાથે તેની છત નીચે બેઠેલા લોકો પર તૂટી પડે. તેમનામાંથી જે બાકી રહ્યા હશે તેમને હું તરવારથી પૂરા કરીશ. કોઇ તેમાંથી છટકી જવા પામશે નહિ.
2 તેઓ ઊંડે ખોદતાં ખોદતાં પાતાળમાં ઊતરી જાય તો પણ હું તેમને પકડીને બહાર લઇ આવીશ. તેઓ જો આકાશમાં ચઢી જશે, તો પણ હું તેમને ત્યાંથી નીચે ખેંચી લાવીશ.
3 તેઓ જો કામેર્લની ટોચના ખડકોમાં સંતાઇ જાય, તોપણ હું તેમને ત્યાંથી શોધી કાઢી પકડી પાડીશ. જો તેઓ મારાથી સંતાઇને દરિયાને તળીયે પણ હશે, તો ત્યાં રહેતાં સર્પને જે ત્યાં રહે છે તેઓને કરડવા માટે આદેશ આપીશ.
4 અને જો તેઓ પોતાના દુશ્મનોના હાથે બંદીવાન થઇ દેશપાર થશે તોપણ હું તરવારને આજ્ઞા કરીશ કે તે તેમનો સંહાર કરે. હું તેમના પર નજર રાખીશ કે જેથી તેઓનું ભલું નહિ પણ ભૂંડુ જ થાય.”
5 યહોવા સૈન્યોનો દેવ અને સૈન્યોનો પ્રભુ છે. તેમનો સ્પર્શ થતાં જ પૃથ્વી ઓગળી જાય છે. અને તેમાં વસનારા સર્વ શોક કરે છે, તે પૃથ્વી ઊપર આવે છે અને પછી નાઇલ નદીની જેમ મંદ પડી જાય છે.
6 એ યહોવા છે કે તેનું ઘર આકાશમાં બાંધે છે અને તેના ઘુમ્મટનો પાયો પૃથ્વી ઉપર નાખે છે, તે સમુદ્રના પાણીને બોલાવીને પૃથ્વીના પડ ઉપર રેડી દે છે. તેનું નામ યહોવા છે.
7 આ યહોવાના વચન છે, “હે ઇસ્રાએલના લોકો, શું તમે મારે મન ‘કૂશના’ લોકો જેવા નથી? હું જેમ તમને ઇસ્રાએલીઓને મિસરમાંથી લાવ્યો હતો, તેમ પલિસ્તીઓને કાફતોરથી અને અરામીઓને કીરમાંથી લાવ્યો નહોતો?”
8 જુઓ, યહોવા મારા માલિકની દ્રષ્ટિ પાપી ઇસ્રાએલની પ્રજા ઉપર છે; “હું તેને ધરતીના પડ ઉપરથી ભૂંસી નાખીશ. તેમ છતાં હું યાકૂબના વંશનો સંપૂર્ણ સંહાર નહિ કરું.
9 હું આજ્ઞા કરીશ કે, જેવી રીતે અનાજને ચારણીમાં ચાળવામાં આવે; તેમ છતાં તેમાંનો નાનામાં નાનો દાણો પણ નીચે પડશે નહિ, તે રીતે બીજા રાષ્ટો દ્વારા ઇસ્રાએલ પરતંત્ર થઇ જાય.
10 પણ મારા લોકોમાંના બધા પાપીઓ, જેઓ એમ કહે છે કે, ‘અમને કોઇ આફત સ્પશીર્ શકે એમ નથી કે અમારી સામે આવી શકે એમ નથી.’ તેઓ તરવારથી નાશ પામશે.”
11 “તે દિવસે હું દાઉદના ખખડી ગયેલા ઝૂંપડા જેવા રાજ્યને ફરી બેઠું કરીશ અને તેમાં પડેલી ફાટો સાંધી દઇશ. તેના ખંડેરો સમાં કરીશ, તે પહેલાં જેવું હતું તેવું નગર નવેસરથી બાંધીશ;
12 હું તેમ કરીશ જેથી ઇસ્રાએલના લોકો અદોમના બાકી રહેલા પ્રાંતો અને બીજા બધા દેશો જે પહેલાં મારા હતા તેને શાસનમાં લઇ શકે. આ સર્વનો કરનાર હું યહોવા બોલું છું.”
13 “જુઓ યહોવા કહે છે, એવા દિવસો આવી રહ્યાં છે. ખેડૂતો બીજી તરફ ધાન્યની વાવણી કરવાનું શરુ કરે છે કે, તે સમયે પણ ધાન્યની પહેલી લણણીનું કામ પૂરું નહિ થયું હોય. ઇસ્રાએલના પર્વતો ઉપર દ્રાક્ષના બગીચામાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે.
14 હું મારા ઇસ્રાએલી લોકોને બંદીવાસમાંથી પાછા લાવીશ. તેઓ તારાજ થયેલાં નગરોને ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષારસ પીશે તથા બગીચા તૈયાર કરશે અને તેના ફળ ખાશે.”
15 પછી તમારા દેવ યહોવા કહે છે: “હું તેમને તેમની પોતાની ભૂમિમાં પાછા સ્થાપીશ અને તેમને મેં જે ભૂમિ આપી છે તેમાંથી કોઇપણ તેઓને ખસેડી શકશે નહિ.”