2 તિમોથીને

1 2 3 4


પ્રકરણ 3

આ યાદ રાખજે! છેલ્લા દિવસોમાં ધણી બધી મુશ્કેલીઓ આવશે.
2 એવો સમય આવશે કે જ્યારે લોકો પોતાની જાતને જ તથા પૈસાને પ્રેમ કરશે. તેઓ બડાશખોર અને અભિમાની બનશે. લોકો બીજાની નિંદા-કૂથલી કરતા થઈ જશે. લોકો પોતાના મા-બાપની આજ્ઞા નહિ પાળે. લોકોમાં આભારની ભાવના મરી પરવારશે. દેવને જેવા લોકો ગમે છે તેવા તેઓ નહિ હોય.
3 લોકોને એકબીજા માટે પ્રેમ નહિ હોય. તેઓ બીજા લોકોને માફ કરી શકશે નહિ. અને તેઓ ખરાબ વાતો કરશે. લોકો પોતાની જાત પરનો કાબૂ ગુમાવશે. તેઓ ક્રોધી અને હલકી વૃત્તિવાળા અને જે વસ્તુઓ સારી હશે તેને ધિક્કારશે.
4 આવનારા છેલ્લા દિવસોમાં લોકો પોતાના મિત્રોના વિશ્વાસઘાતી બની જશે. તેઓ જરા પણ વિચાર કર્યા વગર મૂર્ખતાભર્યા કામો કરશે. લોકો દેવ પર પ્રીતિ રાખવાને બદલે વિલાસ પર પ્રીતિ રાખનારા થશે.
5 એ લોકો દેવની સેવા કરવાનો ડોળ ચાલુ રાખશે, પરંતુ તેઓની જીવન જીવવાની રીત પરથી ખ્યાલ આવશે કે તેઓ દેવની સેવા ખરેખર કરતાં જ નથી. તિમોથી, એવા લોકોથી તું દૂર રહેજે.
6 તેઓમાંના કેટલાએક લોકો તો પારકાના ઘરમાં ઘૂસી જઇને અબળા સ્ત્રીઓને ફસાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એ સ્ત્રીઓમાં પણ પુષ્કળ પાપ હોય છે. અનેક અનિષ્ટ કુકર્મો કરવાની ઈચ્છા ધરાવતી એ સ્ત્રીઓ પાપૅંેથી ભરપૂર હોય છે.
7 એ સ્ત્રીઓ હંમેશા નવું નવું શિક્ષણ શીખવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ સત્યના જ્ઞાન સુધી પહોંચી શકવા શક્તિમાન થતી નથી.
8 યાન્નેસ અને યાંબ્રેસને યાદ કર. તેઓ મૂસાના વિરોધીઓ હતા. આ લોકોની બાબતમાં પણ એવું જ છે. તેઓ સત્યનો વિરોધ કરે છે. એ એવા લોકો છે જેમની વિચાર-શક્તિ ગૂંચવાઇ ગઇ છે. તેઓ વિશ્વાસનો માર્ગ અનુસરવામાં નિષ્ફળ ગયા છે.
9 પરંતુ તેઓ જે કાર્યો કરી રહ્યા છે તેમાં સફળ તવાના નથી. બધા લોકોને ખબર પડશે કે તેઓ કેવા મૂર્ખ છે. યાંન્નેસ અને યાંબ્રેસનું આવું જ થયું હતું.
10 પરંતુ મારા વિષે તો તું બધું જાણે છે. હું જે શીખવું છું અને જે રીતે હું રહું છું તે તને ખબર છે. મારા જીવનનો હેતું તું જાણે છે. મારો વિશ્વાસ, મારો પ્રેમ અને મારી ધીરજથી તું પરિચિત છે. હું મારો પ્રયત્ન કદીય છોડતો નથી, એ તું જાણે છે.
11 મેં જે સતાવણી અને યાતનાઓ સહન કરી છે તે વિષે તને ખબર છે. અંત્યોખ, ઈકોનિયામાં, અને લુસ્ત્રામાં મારી સાથે જે બન્યું હતું તે તું જાણે છે. એ સ્થળોએ મેં કેવી કેવી સતાવણી સહન કરી હતી, એ તને ખબર છે. પરંતુ એ બધી મુશ્કેલીઓમાં પ્રભુએ જ મારો છુટકારો કર્યો છે.
12 દરેક વ્યક્તિ દેવની ઈચ્છા મુજબ ખ્રિસ્ત ઈસુમાં જીવન સમર્પિત કરી જીવવાનો પ્રયત્ન કરશે તે દરેક વ્યક્તિની સતાવણી કરવામાં આવશે.
13 જે દુષ્ટ લોકો બીજાને છેતરે છે તે લોકો વધુ ને વધુ ખરાબ થતા જશે. તેઓ બીજા લોકોને મૂર્ખ બનાવશે, પરંતુ તેઓ પોતે પણ મૂર્ખ બનશે.
14 પરંતુ જે વાતો તું શીખ્યો છે તેને અનુસરવાનું તારે ચાલુ રાખવું જોઈએ. તું જાણે છે કે એ બધી વતો સાચી છે. તું એ બાબતો શીખવનારાઓ પર પૂરો વિશ્વાસ રાખી શકે છે એની તને ખબર છે.
15 તું બાળક હતો ત્યારનો પવિત્ર શાસ્ત્રથી પરિચિત છે. એ પવિત્રશાસ્ત્રતને વિવેકબુદ્ધિવાળો બનાવવાની ક્ષમતા ધરાવે છે અને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્ધારા તારણના માર્ગે જવા એ વિવેકબુદ્ધિ તને ઉપયોગી નીવડશે.
16 દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે. લોકોના જીવનમાં ક્યાં ખોટું થાય છે તે બતાવવા અને બોધ આપવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે. ભૂલો સુધારવા અને ન્યાયી જીવન જીવવાના શિક્ષણમાં ભૂલો સુધારવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે.
17 શાસ્ત્રોનો ઉપયોગ કરીને જે વ્યક્તિ દેવની સેવા કરશે, તે બધાજ સારા કાર્યો કરવા માટે પૂરેપૂરો સુસજજ થશે.