દારિયેલ

1 2 3 4 5 6 7 8 9 10 11 12


પ્રકરણ 4

રાજા નબૂખાદનેસ્સારે આ આજ્ઞા દુનિયાના દરેક દેશમાં, દરેક જાતિના અને ભાષાના લોકોને મોકલી:
2 સદા સૌ સુખ શાંતિમાં રહો. પરાત્પર દેવે મને જે ચિહ્નો અને આશ્ચર્યકારક કૃત્યોનો અનુભવ કરાવ્યો છે, તેના વિષે તમે બધા જાણો એવી મારી ઇચ્છા છે.
3 તે તો માનવામાં ન આવે તેવું હતું, તેમના પરાક્રમો અતિ મહાન છે, તેમનું રાજ્ય શાશ્વતકાળ ટકે એવું છે. તેમનો અધિકાર પેઢી દર પેઢી ટકી રહે છે.
4 હું નબૂખાદનેસ્સાર મારા મહેલમાં સુખ શાંતિમાં રહેતો હતો. અને વૈભવ માણતો હતો.
5 એક રાત્રે હું મારા પલંગમાં સૂતો હતો, એવામાં મને ભયંકર સ્વપ્ન આવ્યું. ત્યારે મારા મગજમાં પસાર થતાં આકારો અને સંદર્શનોએ મને ગભરાવી દીધો.
6 તેથી મેં હુકમ કર્યો કે, બાબિલના બધા હોશિયાર પુરુષોને મારી સમક્ષ હાજર કરવા, જેથી તેઓ મને મારા સ્વપ્નનો અર્થ સમજાવે.
7 તેથી બધા જાદુગરો, મંત્રવિદો ઇલમીઓ અને જ્યોતિષીઓ મારી સમક્ષ આવ્યા અને મેં તેમને મારું સ્વપ્ન કહી સંભળાવ્યું, પણ તેઓ મને તેનો અર્થ જણાવી શક્યા નહિ.
8 આખરે દાનિયેલ મારી આગળ આવ્યો, મારા દેવના નામ પરથી તેનું નામ મેં બેલ્ટશાસ્સાર રાખ્યું હતું. એ માણસોમાં પવિત્ર દેવોનો આત્મા છે. મેં તેને મારા સ્વપ્નની વાત કરી.
9 મેં કહ્યું,“હે બેલ્ટશાસ્સાર, તું જાદુગરોમાં અગ્રગણ્ય છે, કારણ, હું જાણું છું કે, તારામાં પવિત્ર દેવોની શકિતનો વાસ છે, કોઇ પણ રહસ્ય એવું નથી જેને તું ઉકેલી ન શકે. મારા સ્વપ્નનો અર્થ શો છે તે તું મને કહે.
10 હું ઊંઘતો હતો ત્યારે મને સંદર્શન થયું, પૃથ્વીની મધ્યમાં એક વૃક્ષ મેં જોયું, તેની ઊંચાઇ ઘણી વધારે હતી.
11 તે વૃક્ષ વધતું જ ગયું અને મજબૂત બન્યું અને તેની ટોચ આકાશે પહોંચી અને પૃથ્વીને છેડેથી પણ તે નજરે પડતું હતું.
12 તેના પાંદડાં સુંદર હતાં, ફળથી તે લચી પડ્યું હતું, તેને એટલાં ફળ લાગ્યાં હતાં કે, બધાં ધરાઇને ખાઇ શકે, વગડાનાં પશુઓ તેની છાયા નીચે આશ્રય પામતા અને આકાશના પંખીઓ તેની ડાળીઓમાં વાસો કરતા અને બધા જીવો તેના ઉપર વસતા.
13 “હું આ સંદર્શન જોતો હતો, ત્યારે મેં દેવના પવિત્ર દૂતોમાંના એકને સ્વર્ગમાંથી નીચે ઊતરતો જોયો.
14 તેણે મોટે સાદે મને કહ્યું, ‘આ વૃક્ષને કાપી નાખો; તેની ડાળીઓને પણ કાપી નાખો; તેના પાંદડાં ખંખેરી નાખો અને તેના ફળ વિખેરી નાખો. તેની છાયામાંથી પ્રાણીઓને અને તેની ડાળીઓ ઉપરથી પક્ષીઓને નસાડી મૂકો.
15 પણ એના થડ અને તેના મૂળને જમીનમાં રહેવા દો. અને તેના શરીરને લોઢાની સાંકળોથી બાંધી દો, અને તેને તે ખેતરના ઘાસ ઉપર જ રહેવા દો.
16 એનું મન માણસનું મટીને પશુનું થઇ જાઓ અને આમ સાત વર્ષ વીતી જવા દો!
17 “જાગ્રત ચોકીદાર સમા પવિત્ર દૂતોએ આ સજા કરેલી છે, તેમણે આ ચુકાદો આપેલો છે, જેથી સર્વ જીવો સમજે કે, માનવ-રાજ્યમાં પરાત્પર દેવ સવોર્પરી છે, તે જેને રાજ્ય આપવું હોય તેને આપે છે; અને તેના ઉપર નાનામાં નાના માણસને સ્થાપે છે.
18 “મેં, રાજા નબૂખાદનેસ્સારે, આ સ્વપ્ન જોયું હતું અને હે બેલ્ટશાસ્સાર, હવે તું મને તેનો અર્થ જણાવ, કારણકે બીજું કોઇ જ મને એનો અર્થ સમજાવી શકે એમ નથી. મારા રાજયના ડાહ્યાં માણસો નિષ્ફળ ગયા છે. તારામાં પવિત્ર દેવનો આત્મા વસે છે, તેથી તું સમજાવી શકે એમ છે.”
19 પછી દાનિયેલ ઉફેર્ બેલ્ટશાસ્સાર ક્ષણભર સ્તબ્ધ થઇ ગયો. તેના મનમાં જે વિચારો આવ્યા તેનાથી તે ભયભીત બની ગયો. પણ રાજાએ તેને કહ્યું, “બેલ્ટશાસ્સાર, સ્વપ્નથી કે, તેના અર્થથી તું ગભરાઇશ નહિ.”બેલ્ટશાસ્સારે કહ્યું, “મારા ધણી, એ સ્વપ્ન અને એનો અર્થ આપના વેરીને લાગુ પડો.
20 પૃથ્વીના છેડાથી જોઇ શકાય તેવું તે વૃક્ષ ઊંચું હતું અને તેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી.
21 જેને સુંદર તાજાં લીલાં પાંદડાં હતાં, વળી જે ફળોથી લચી પડ્યું હતું. જેમાંથી બધાનો નિભાવ થતો હતો. જેની છાયામાં વગડાના પશુઓ આશ્રય પામતા હતા અને જેની ડાળીઓમાં પંખીઓનો વાસ હતો.
22 હે રાજા, એ તો આપ પોતે જ છો. આપ મહાન અને બળવાન છો. તમારી મહાનતા વધીને છેક આકાશ સુધી પહોંચી છે. તમારું સામ્રાજ્ય પૃથ્વીના છેડા સુધી પહોંચ્યું છે.
23 “અને આપ નામદારે જાગ્રત ચોકીદાર સમા એક પવિત્ર દૂતને આકાશમાંથી ઊતરતો જોયો હતો જે કહેતો હતો કે, ‘આ વૃક્ષને કાપી નાખો, એનો નાશ કરો, પણ એનાં ઠૂંઠાને લોઢાના ને કાંસાના બંધથી બાંધીને એને જમીનમાં મૂળ સાથે ખેતરના ઘાસ વચ્ચે રહેવા દો. એને આકાશમાંથી પડતી ઝાકળથી ભીંજાવા દો. અને એને પશુઓ સાથે રહેવા દો આમને આમ સાત વર્ષ વીતી જવા દો.’
24 “હે નામદાર, પરાત્પર દેવે કહ્યું છે અને તે આપને માથે આવ્યું છે.
25 એટલે આપને માણસોમાંથી હાંકી કાઢવામાં આવશે, અને વગડાના પશુઓ ભેગા આપે રહેવું પડશે, અને આપે બળદની જેમ ઘાસ ખાવું પડશે અને આપે આકાશમાંથી વરસતી ઝાકળથી ભીંજાવું પડશે. સાત વરસ સુધી આપ આ પ્રમાણે જીવશો. આખરે તમે જાણશો કે, પરાત્પર દેવ મનુષ્યોના સર્વ રાજ્યો ઉપર અધિકાર ચલાવે છે અને રાજ્ય જેને સોંપવું હોય તેને સોંપે છે.
26 “વૃક્ષના ઠૂંઠાને અને મૂળને જમીનમાં રહેવા દેવાનું જણાવવામાં આવ્યું હતું. આ દર્શાવે છે કે, સ્વર્ગના દેવ અધિકાર ચલાવે છે. તે તમે કબૂલ કરશો ત્યારે તમને તમારું રાજ્ય પાછું મળશે.
27 માટે આપ મહેરબાની કરીને મારી સલાહ માનો: પુણ્યકાર્યો કરી અને ગરીબો ઉપર દયા કરી, આપે કરેલા પાપોમાંથી મુકત થાઓ અને એમ કરીને આપ સુખ શાંતિભર્યું દીર્ધાયુષ્ય ભોગવો.”
28 આ બધું જ નબૂખાદનેસ્સારના જીવનમાં બન્યું.
29 આ સ્વપ્નને બાર મહિના વીતી ગયા પછી એક દિવસ તે બાબિલના વૈભવી મહેલમાં અગાસીમાં ફરતો હતો.
30 ત્યારે તેણે કહ્યું, “આ મહાનગર બાબિલ તો જુઓ! મારું ગૌરવ તથા મહિમા વધારવા માટે મારી પોતાની શકિત વડે એ પાટનગર બાંધ્યું છે!”
31 હજી તો આ શબ્દો તે બોલતો હતો, ત્યાં તો તેણે આકાશવાણી સાંભળી, “હે નબૂખાદનેસ્સાર રાજા, તારા માટે આ સંદેશો છે: તું હવેથી આ રાજ્યનો રાજા રહ્યો નથી.
32 અને તને માણસોમાંથી હાંકી મૂકવામાં આવશે. અને તારે વગડાના પશુઓ ભેગા રહેવું પડશે અને તારે બળદની જેમ ઘાસ ખાવું પડશે. આમને આમ સાત વર્ષ વીતી જશે. આખરે તને સમજાશે કે, સૌથી ઉંચો દેવ તે છે જે લોકોના રાજ્યો ઉપર શાસન કરે છે અને જેને પસંદ કરે, તેનેે જે આપવું હોય તે તેને આપે છે.”
33 તે જ સમયે આ ભવિષ્યવાણી પૂરી થઇ. નબૂખાદનેસ્સારને તેના મહેલમાંથી હાંકી કાઢવામાં આવ્યો અને બળદની જેમ તે ઘાસ ખાવા લાગ્યો. તેનું શરીર ઝાકળથી પલળી ગયું. તેના વાળ ગરૂડના પીછા જેવા લાંબા વધી ગયા અને તેના નખ પક્ષીઓના પંજા જેવા થઇ ગયા.
34 મુદૃત પૂરી થતાં સાત વર્ષને અંતે મેં નબૂખાદનેસ્સારે ઊંચે આકાશ તરફ નજર કરી. એટલે મારી સમજશકિત મારામાં પાછી આવી; અને મેં પરાત્પર દેવની સ્તુતિ કરી. અને તેમનું ભજન કર્યું. જે શાશ્વત છે, તેનું અધિપત્ય અનંત છે, તેનું રાજ્ય યુગોના યુગો સુધી ચાલે છે.
35 પૃથ્વી પરના સર્વ માણસો તેની સામે કોઇ વિસાતમાં નથી. તેમને જે ઠીક લાગે તેમ કરે છે, તેજ તે સ્વર્ગમાં તેમજ અહીં પૃથ્વી પરના નિવાસીઓમાં કરે છે. તેમના હાથને કોઇ રોકી શકતું નથી. તેમને કોઇ પ્રશ્ર્ન કરી શકતું નથી કે, તમે આ શું કર્યું?
36 જ્યારે મારી બુદ્ધિ ઠેકાણે આવી, અને મારું ગૌરવ, મારો પ્રતાપ અને મારો વૈભવ મને પાછા મળ્યાં. મારા સલાહકારો અને અધિકારીઓ મને શોધતા આવ્યા અને મને મારા રાજ્યના વડા તરીકે પુન:સ્થાપિત કરવામાં આવ્યો. અને મારા ગૌરવમાં અગાઉ કરતાં ઘણી વૃદ્ધિ થઇ.
37 હવે હું, નબૂખાદનેસ્સાર, સ્વર્ગાધિપતિની સ્તુતિ કરું છું, પ્રશંશા કરું છું, મહિમા ગાઉં છું અને ગુણગાન કરું છું, કારણ, તેના બધાં કાર્યો સાચાં છે, તેનો વ્યવહાર ન્યાયી છે, અને જેઓ ઘમંડી છે તેઓને તે નીચા પાડે છે.