પ્રકટીકરણ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22


પ્રકરણ 17

સાત દૂતોમાંનો એક આવ્યો અને મારી સાથે વાત કરી. આ દૂતોમાંનો એક હતો જેની પાસે સાત પ્યાલા હતા. તે દૂતે કહ્યું, “આવ, અને હું તમને વિખ્યાત વેશ્યાને જે શિક્ષા કરવામાં આવશે તે બતાવીશ. તે એક કે જે ઘણી નદીઓના પાણી પર બેસે છે.
2 પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચારનું પાપ કર્યું છે. પૃથ્વી પરના લોકો તેના વ્યભિચારના પાપના દ્રાક્ષારસથી છાકટા થયા છે.”
3 પછી તે દૂત મને આત્મામાં રણમાં લઈ ગયો. ત્યાં મેં એક સ્ત્રીને લાલ પ્રાણી પર બેઠેલી જોઈ. તે પ્રાણી તેના પર લખાયેલા ઈશ્વરનિંદક નામોથી ઢંકાયેલું હતું. તે પ્રાણીને સાત માથાં અને દસ શિંગડા હતા.
4 તે સ્ત્રીએ જાંબલી અને લાલ રંગના વસ્ત્રો પહેર્યાં હતા. તે સોનાનાં અલંકારો અને કિંમતી પથ્થરોથી શણગારેલી હતી. તેના હાથમાં સોનાનું પ્યાલું હતું. આ પ્યાલું ભયંકર વસ્તુઓ અને તેનાં અશુદ્ધ વ્યભિચારનાં પાપોથી ભરાયેલું હતું.
5 તેના કપાળ પર એક શીર્ષક (નામ) લખાયેલું હતું, આ શીર્ષકનો ગુપ્ત અર્થ છે. જેનું લખાણ આ પ્રમાણે હતું:હે મહાન બાબિલોન વેશ્યાઓની માતા અને પૃથ્વી પરની દુષ્ટ બાબતોની માતા
6 મેં જોયું કે તે સ્ત્રી પીધેલી હતી. તેણે સંતોનું લોહી પીધેલું હતું જે લોકો ઈસુમાંના તેઓના વિશ્વાસ વિષે કહેતા હતા તે લોકોનું લોહી તેણે પીધું હતું.જ્યારે મેં તે સ્ત્રીને જોઈ ત્યારે હું અતિશય આશ્ચર્ય પામ્યો.
7 પછી તે દૂતે મને કહ્યું કે, “તું શા માટે આશ્ચર્ય પામે છે? હું તને આ સ્ત્રીનો અને જે પ્રાણી પર તે સવારી કરે છે, તે સાત માથા અને દસ શિંગડાંવાળા પ્રાણી નો મર્મ કહીશ.
8 તું જે પ્રાણી જુએ છે તે એક વખત જીવતું હતું પણ તે પ્રાણી હમણા જીવતું નથી. પણ તે પ્રાણી જીવતુ થશે તે અસીમ ઊંડાણમાંથી બહાર નીકળશે અને વિનાશના માર્ગે જશે. પૃથ્વી પર જે લોકો રહે છે. તે આશ્ચર્ય પામશે. કારણ કે તે એક વખત જીવતું હતું, હમણા તે જીવતું નથી. પણ ફરીથી આવશે. પણ આ તે લોકો છે કે જેમના નામો દુનિયાના આરંભથી જીવનનાં પુસ્તકમાં લખેલા નથી.
9 “તને આ વાત સમજવા માટે જ્ઞાની મનની જરૂર છે, તે પ્રાણી પરના સાત માથાં તે સ્ત્રી જ્યાં બેસે છે તે સાત ટેકરીઓ છે. તેઓ સાત રાજાઓ પણ છે.
10 રાજાઓમાંના પાંચ તો મરી ગયા છે. રાજાઓમાંનો એક હમણાં જીવે છે. અને તે એક જે હજી સુધી આવ્યો નથી. જ્યારે તે આવશે, તે ફક્ત થોડો સમય જ રહેશે.
11 તે પ્રાણી એક વખત જીવતું હતું પણ તે હાલમાં જીવતું નથી. તે જ આઠમો રાજા છે. આ આઠમો રાજા પણ તે પહેલાના સાત રાજાઓમાનો એક છે. અને તેનો વિનાશ થશે.
12 “તે દસ શિંગડાંઓ જે તમે જોયાં તે આ દસ રાજાઓ છે. જેઓને હજુ તેઓનું રાજ્ય મળ્યું નથી. પણ તેઓ એક કલાક માટે તે પ્રાણી સાથે શાસન કરવા અધિકાર મેળવશે.
13 આ રાજાઓમાંના બધા દસ નો હેતુ એક જ છે અને તેઓ તેઓની સત્તા અને અધિકાર તે પ્રાણીને આપશે.
14 તેઓ હલવાનની સાથે યુદ્ધ કરશે. પરંતુ હલવાન તેઓને હરાવશે. કારણ કે તે પ્રભુઓનો પ્રભુ અને રાજાઓનો રાજા છે. તે તમને પોતે પસંદ કરેલા અને વિશ્વાસી જેઓને તેણે બોલાવ્યા છે તેઓના વડે તેને હરાવશે.”
15 પછી તે દૂતે મને કહ્યું કે, “જે પ્રાણી તેં જોયું છે તેના પર તે વેશ્યા બેસે છે. આ પ્રાણી તે ઘણા લોકો, જુદી જુદી જાતિઓ, રાષ્ટ્રો અને દુનિયાની ભાષાઓ છે.
16 તે જે દસ શિંગડાંઓ અને પ્રાણી જોયાં તેઓ તે વેશ્યાને ધિક્કારશે. તેઓ તેની પાસેથી બધું જ લઈ લેશે અને તેને નગ્ર છોડી દેશે. તેઓ તેના શરીરને ખાશે અને તેને અગ્નિ વડે બાળી નાખશે.
17 દેવે તેનો હેતુ પૂરો કરવાની ઈચ્છાથી દસ શિંગડાંઓ બનાવ્યાં: તેઓ તેની શાસન કરવાની સત્તા પ્રાણીને આપવા સમંત થયાં. દેવે કહેલાં વચન પૂર્ણ થશે ત્યાં સુધી તેઓ શાસન કરશે.
18 તમે જે સ્ત્રીને જોઈ તે એક મોટું શહેર છે. જે પૃથ્વીના રાજાઓ પર શાસન કરે છે.”