ચર્મિયા

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52


પ્રકરણ 40

રક્ષકોની ટુકડીના નાયક નબૂઝારઅદાને યમિર્યાને રામામાંથી મોકલી દીધો, તે પછી તેને યહોવાની વાણી સંભળાઇ, યરૂશાલેમ અને યહૂદિયાના બીજા જે લોકોને કેદી તરીકે બાબિલ દેશવટે લઇ જતા હતા તેમની ભેગો યમિર્યાને પણ ત્યાં લઇ જવાયો.
2 સરદારે યમિર્યાને બોલાવ્યો અને કહ્યું, “યહોવા તમારા દેવ તેમણે આપેલા વચન પ્રમાણે આ વિપત્તિ દેશ પર લાવ્યા છે.
3 અને હવે તેણે એ આફત ઉતારી છે; તેણે જે કરવાની ધમકી આપી હતી તે કરી છે, કારણ, તમે યહોવા સામે પાપ કર્યું છે અને તેનું કહ્યું કર્યું નથી.
4 જો હવે હું તારા બંધનો છોડી નાખીશ અને તને મુકત કરીશ. તારે જો મારી સાથે બાબિલ આવવું હોય તો આવ, હું તારી સંભાળ રાખીશ. પરંતુ જો તારે મારી સાથે બાબિલ ન આવવું હોય તો તેનો ય વાંધો નથી, જો, તારી સમક્ષ પસંદગી કરવા માટે આખો દેશ પડેલો છે. તારે જ્યાં જવું હોય ત્યાં તું જઇ શકે છે.”
5 પરંતુ યમિર્યા જવાબ આપે તે પહેલાં જ નબૂઝારઅદાને કહ્યું, “તું જો અહીં વસવાનો નિર્ણય કરે તો પછી યહૂદિયા પાછો જા, કારણ કે બાબિલના રાજાએ ત્યાં ના લોકો પર ગદાલ્યાને હાકેમ તરીકે નીમેલો છે, અને તેની હકૂમત હેઠળના લોકો સાથે તું રહે. પરંતુ તેનો નિર્ણય તારે કરવાનો છે; તું ઇચ્છે ત્યાં જઇ શકે છે.”ત્યારબાદ નબૂઝારઅદાને થોડો ખોરાક અને નાણાં યમિર્યાને આપ્યાં અને તેને વિદાય કર્યો.
6 પછી યમિર્યા ગદાલ્યા પાસે પાછો આવ્યો અને યહૂદિયા પ્રાંતમાં રહેલા લોકો સાથે આવીને રહ્યો.
7 હવે જ્યારે વગડામાંના સૈનિકોના નેતાઓને અને તેના માણસોએ સાંભળ્યું કે, જેમને બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યા નથી એવા દેશમાં બાકી રહેલા ગરીબ લોકો પર બાબિલના રાજાએ ગદાલ્યાને હાકેમ તરીકે નીમ્યો છે.
8 તેઓ મિસ્પાહ ખાતે ગદાલ્યા પાસે આવ્યા, ત્યારે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆહના પુત્રો યોહાનાન અને યોનાથાન તાન્હુમેથના પુત્ર સરાયા, નટોફાથીને એફાયના પુત્રો માઅખાથીનો પુત્ર યઝાન્યા તથા તેઓની ટૂકડીઓ મિસ્પાહમાં ગદાલ્યાની પાસે આવ્યા.
9 ગદાલ્યાએ તેમને અને તેમના માણસોને વચન આપ્યું કે, “બાબિલવાસીઓને તાબે થતાં ડરશો નહિ. આ દેશમાં ઠરીઠામ થઇને રહો અને બાબિલના રાજાની સેવા કરો. સૌ સારાવાના થશે.
10 જ્યાં સુધી મારો સવાલ છે, હું મિસ્પાહમાં વસીશ. અને જ્યારે જ્યારે બાબિલવાસીઓ આવશે ત્યારે હું તમને તેમની સામે રજુ કરીશ. પણ તમે દ્રાક્ષારસ, ફળ અને તેલ ભેગા કરી શકો છો અને તમે જે ગામો કબજે કર્યા છે તેમાં વસી શકો છો.”
11 તે ઉપરાંત મોઆબ, આમ્મોન તથા અદોમમાં અને તેની પાસેના પ્રદેશોમાં વસતા યહૂદિયાના લોકોએ સાંભળ્યું કે હજુ પણ થોડા લોકો વસવાટ કરે છે, યહૂદિયામાં ગદાલ્યાને તે બધાં લોકોનો નેતા તરીકે નીમવામાં આવ્યો જેમને તે બાબિલ લઇ ગયો નથી.
12 ત્યાર પછી તેઓ બધાં જુદા જુદા સ્થળોએથી ગદાલ્યા પાસે આવ્યા. તેમણે પુષ્કળ ફળ અને દ્રાક્ષારસ ભેગાં કર્યાં.
13 પછી કારેઆહનો પુત્ર યોહાનાન તથા જે સૈન્યોના સરદારો સીમમાં હતાં, તેઓ બધા મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યા અને
14 તેઓએ તેને કહ્યું, “શું તમને ખબર છે કે આમ્મોનીઓના રાજા બાઅલીસે નથાન્યાના પુત્ર ઇશ્માએલને તમારું ખૂન કરવા માટે મોકલ્યો છે?” પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ તેમની વાત પર વિશ્વાસ મૂકયો નહિ.
15 કારેઆહના પુત્ર યોહાનાને મિસ્પાહમાં ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “નથાન્યાના પુત્ર ઇશ્માએલને મારી નાખવા માટે મને જવા દે, ને તે વાતની કોઇને ખબર પડશે નહિ; તે શા માટે તને મારી નાખે? જે યહૂદિયાઓ પાછા ફર્યા છે તેઓનું શું થશે? શેષ યહૂદિયાના લોક તારી પાસે ભેગા થયા છે તે શા માટે વિખેરાઇ જાય અને નાશ પામે?”
16 પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ યોહાનાનને કહ્યું, “તું આ પ્રમાણે ના કરીશ, હું તને આમ કરવા માટે મનાઇ ફરમાવું છું, કારણ કે ઇશ્માએલ વિષે તું જૂઠું બોલે છે.”